Gandhi Yugni Akashganga


Gandhi Yugni Akashganga

Rs 300.00


Product Code: 10221
Author: Meera Bhatt
Delivery: Generally dispatched in 3 to 5 working days.

Quantity

we ship worldwide including United States

ગાંધી યુગની આકાશગંગા

મીરા ભટ્ટ

( courtesy : રીડગુજરાતી )

જાણીતા સાહિત્યકાર મીરાબેન ભટ્ટ (વડોદરા)ની કલમે લખાયેલા 84 જેટલા મહાન વ્યક્તિત્વોનો સંચય એટલે ‘ગાંધી યુગની આકાશગંગા’.

સ્વામી આનંદના જીવન વિશે આછી ઝલક

ભારતીય સંસ્કૃતિમાં સંતોનું સ્થાન અનોખું છે. બલકે કોઈ પૂછે કે ભારતનો અસલી પિંડ કોણે બાંધ્યો, તો કહેવું પડે કે વિશાળ ભારતના આ ખૂણેથી પેલા ખૂણા સુધી સતત વિચરનારા સાધુસંતોએ ભારતની સંસ્કૃતિ ઘડી છે. જો કે આ સાધુ-સંતોના પણ અનેક પ્રકાર છે. છતાંય જે સંતો ભારતીય સંસ્કૃતિની હાલતી ચાલતી વિદ્યાપીઠો બનીને જીવન જીવી ગયા, તેમનો આછો-પાતળો પરિચય કરાવનાર ‘સ્વામી આનંદ’ એક વિશિષ્ટ સંન્યાસી સાધુ પુરુષ હતા, જેમણે સંન્યાસની સ્વરાજ્ય-સાધના સાથે સુંદર યુતિ બતાવી. મૂળ નામ એમનું હિંમતલાલ રામચંદ્ર દવે. સૌરાષ્ટ્રના ઝાલાવાડનાં શિયાણી ગામે 1887માં જન્મ. મોટાભાઈ મહાશંકર ડૉક્ટરને ત્યાં ભણવા ગયા ત્યારે, પરસ્પર રૂપિયો બદલાવી નાની ઉંમરે વેવિશાળ નક્કી કરી નંખાયેલું. પરંતુ આ હિંમતલાલના રૂપિયાનો રણકાર તો કાંઈક જુદો જ હતો. મોટાભાઈનું ઘર છોડી મુંબઈ મામાને ત્યાં રહેવા ગયા, ત્યારે દશેક વર્ષની ઉંમરે, માધવબાગના એક સાધુ સાથે ભગવાનને મેળવવા નીકળી પડ્યા. પરંતુ સાધુબાબાની આ જમાતમાં તો ગાંજો-ચલમ ચાલે, ભલે પોતે ન પીએ, પણ ગુરુજીને તો ચલમ ભરી આપવી પડે. પણ આવા કામ કરવા પોતે સાધુ થોડો થયો છે, એ વાતે કપાળમાં ચલમનો એવો ઘા ખાધો કે મોતને અને પોતાને અણીભર છેટું રહી ગયું. જેઠીસ્વામી જેવા સાધુમહારાજને તો બદામ-પીસ્તાવાળો બંગાળી માપનો દોઢ શેર લોટો દૂધ ઊભા ઊભા ગટગટાવવા જોઈએ. આવા તો કાંઈ કેટલાય અનુભવો થયા, જે એમની વિશિષ્ઠ રોચક શૈલીમાં ‘મારા પિતરાઈ ભાઈઓ’માં આલેખાયા છે.

આખરે 1901માં રામકૃષ્ણ મિશનમાં સંન્યાસની દીક્ષા લઈને ‘સ્વામી આનંદ’ બન્યા. તપોધનજી પાસે ઘણું પામ્યા, સંન્યાસીઓની જમાત વચ્ચે રહીને ભારતીય સંસ્કૃતિની સમસ્ત સંતસૃષ્ટિને તેમણે ખૂબ ઊંડાણથી જોઈ-જાણી, મૂલવી પણ ખરી. ચમત્કારોમાં એમને શ્રદ્ધા નહોતી. એ તો કહેતા કે ‘જિંદગી ઊઘાડી ચોપડી છે. તેને વાંચવા-સમજવા સારુ કોઈ ગૂઢવાદને વચ્ચે લાવવાની જરૂર નથી.’ માનવતાના મૂળભૂત તંતુને પકડી રાખી, સ્વામી આનંદે ભારતભરના તમામ સંતોને પોતાની કસોટીની એરણે ચઢાવ્યા છે. તેમને ભગવાન ઈસુમાં અને ઈસુપંથીઓમાં પણ એટલો જ રસ. વળી મુસ્લિમ ફકીરો પણ એમના જાતભાઈ ! સહજ રીતે સર્વધર્મ-ઉપાસના એમના સંન્યસ્ત જીવનનું એક ઊજળું પાસું બની ગયું. ‘સાધુ તો ચલતા ભલા’ એ ન્યાયે ભારતભરમાં ફરતા રહ્યા. તે દરમિયાન, બંગાળના ક્રાંતિકારીઓના પરિચયમાં આવ્યા. લોકમાન્ય તિલક સાથે પણ ગાઢ સંપર્ક થયો. વીસમી સદીના આરંભકાળમાં ભારત દેશ સામે ‘સ્વરાજ્યનો મંત્ર’ તિલક દ્વારા એવો પ્રચંડ રીતે ઘોષિત થયેલો કે અનેક સાધુ-સંન્યાસીઓને પણ એણે નવી કર્તવ્યદિશા ચીંધી. દરમિયાન, કાકાસાહેબ કાલેલકરના પરિચયમાં આવવાનું થયું, તો તેમની સાથે હિમાલયયાત્રા પગપાળા કરી. ‘બરફ રસ્તે બદરીનાથ’ના પુસ્તકના રસપ્રદ અનુભવોનું રોચક વર્ણન કોઈ પણ યુવા-પગને થનગનાવી દે તેવું રોમહર્ષક છે !

પરંતુ આ બધો સૂર્યોદય થતાં પહેલાંનો ઉષઃકાળ હતો. હજુ જીવનમાં ‘ગાંધી’ નામનો સૂર્યોદય થવાનો બાકી હતો, તે દરમિયાન હિમાલયના અલમોડા વિસ્તારમાં રહેવાનું શરૂ કર્યું. હિમાલય તેમના અસ્તિત્વ સાથે અભિન્નપણે જોડાયેલી જીવતી-જાગતી હસ્તિ હતી. કાકાસાહેબ સાથે હિમાલયના ખૂણેખૂણા ખૂંદીને હૈયામાં હિમાદ્રિની શુભ શુભ્રતા સંઘરતા રહ્યા. બાપુ ભારત આવ્યા, તે પહેલાં એની બેસન્ટ સ્થાપિત અલમોડાની પહાડી શાળામાં શિક્ષણ-કાર્ય કર્યું. 1917માં બાપુ સાથે સંપર્કમાં આવ્યા અને આશ્રમમાં પહોંચી જઈ 1919માં નવજીવન પ્રેસના સંચાલકની જવાબદારી ઊઠાવી લીધી. ‘યંગ-ઈન્ડિયા’ના મુદ્રક તરીકે જેલવાસ પણ થયો. એમની યોગ્યતા જોઈ, પત્રિકાઓના સંપાદક રૂપે જવાબદારી સ્વીકારવા બાપુએ આગ્રહપૂર્વક કહ્યું, પરંતુ પોતાની સંન્યાસીની ભૂમિકાના સ્વધર્મ રૂપે એ બધાથી નિર્લિપ્ત રહ્યા. એમની સ્વધર્મનિષ્ઠા એટલી બધી સુદઢ હતી કે એમને કોઈ પુરસ્કાર જાહેર થયો, ત્યારે પણ એમણે એમ કહીને નકાર્યો કે સંન્યસ્ત ભૂમિકામાં આવો પુરસ્કાર બંધબેસતો નથી. સ્પષ્ટ વાણીમાં તેઓ સાફ-સાફ વાત કહી દેતાં કદી અચકાતા નહીં, આ જ કારણસર ઘણા એમને ‘તીખા સંત’ કહેતા.

1927ની ગુજરાતની રેલ વખતે અને બારડોલી સત્યાગ્રહ વખતે પણ પૂરી નિષ્ઠાપૂર્વક તેમણે કામ કર્યું અને સરદારશ્રીના નિકટના સ્વજન બની ગયા. બિહારમાં ભયંકર ધરતીકંપ થયો ત્યારે પણ રાજેન્દ્રબાબુના ડાબા હાથ બનીને કામ પાર પાડ્યું. આમ સ્વરાજ્યના અનુસંધાને જે-જે કામો સામે આવતાં ગયાં તેમાં સર્વસ્વ હોડમાં મૂકીને જવાબદારી નોંધાવી. મીઠાના સત્યાગ્રહ વખતે જેલવાસ ભોગવ્યો. 1947માં દેશના ભાગલા પછીની કરુણ પરિસ્થિતિમાં પંજાબ, દહેરાદુન તથા હરદ્વારના નિરાશ્રિતોની છાગણીઓમાં રાહત કાર્ય કર્યું. સ્વરાજ્ય બાદ દહાણુ પાસે કોસબાડ આશ્રમમાં રચનાત્મક કાર્ય તથા લેખનકાર્યની એવી જુગલબંધી ચલાવી કે ગુજરાતને એમની પાસેથી અનન્ય લાભ મળ્યો. સંસ્કૃત, અંગ્રેજી, મરાઠી, હિન્દી, બંગાળી તથા ઉર્દૂ ભાષાના સારા જાણકાર, અને વળી પાછા અઠંગ અભ્યાસી ! તેમાંય એમની આગવી શૈલી ! આ બધાને કારણે ગુજરાતી ભાષાને એમનું પ્રદાન અદ્વિતીય અને અજોડ રહ્યું. પોતે મુદ્રણકળાના નિષ્ણાત એટલે જોડણી તથા પ્રકાશન વિષે એટલા બધા આગ્રહી કે કાચા-પોચા પ્રકાશકનું તો કામ જ નહીં કે એમનું સાહિત્ય છાપે. એમની પોતાની આગવી શૈલી અને આગવો શબ્દકોશ હતો. સહેજ પણ આઘાપાછી ચલાવી લેવાની એમની તૈયારી નહીં, એટલે ‘સુરુચિ મુદ્રણાલય’ કે ‘યજ્ઞ પ્રકાશન’ જ એમનાં પુસ્તકો છાપવાની હિંમત કરી શકે. ગુજરાતી ભાષામાં એમણે કેટલીક ધીંગી વ્યક્તિઓનાં જે રેખાચિત્રો આપ્યાં છે, તે અનુપમ છે !

જેવા પોતે આગવા નિરાળા અને અલગારી, એવું આગવું એમનું અંતિમ વસિયતનામું – ‘મારી પાછળ મારા નામે કોઈ પણ જાતનું દાનપુણ્ય, સ્મારક કે સ્મરણ ચિહ્ન કરવું નહીં, અગર તો મારી છબીને પૂજવી કે ફૂલમાળા ચઢાવવાં નહીં. આમ કરનારે મારી જિંદગીભરની શ્રદ્ધા, આસ્થા, શીખવેલું ઉથાપ્યું – એમ સમજવું.’ 1976ની 25મી જાન્યુઆરીએ મુંબઈમાં હૃદયરોગથી દેહાંત થયો. સ્વરાજ્યયાત્રામાં એક સંન્યાસીનું પ્રદાન કેવું હોઈ શકે, એનું ઉજ્જવળ દષ્ટાંત સ્વામીદાદામાં જોવા મળે છે.


There have been no reviews